Mega Demolition in Bhavnagar: ભાવનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણ હટાવવા અભિયાન ફરી એકવાર ભાવનગરમાં શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરના અકવાડાથી તરસમિયા રોડ પર આવેલી ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવામાં આવ્યા છે. મદરેસાની જગ્યામાં ઉભા થયેલા છ ફ્લેટ, આઠ હોસ્ટેલ રૂમને પણ જમીનદોષ કરવામાં આવ્યા છે. પાલિકાએ આ મેગા ડિમોલેશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 4 જેસીબી, 3 હિટાચી મશીનની મદદથી સમગ્ર કામગીરીને આખરી ઓપ આપ્યો હતો, જેમાં 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.


1500 ચો.મી. દબાણ દૂર કરાયું
તારીખ 23 નવેમ્બરથી ભાવનગરમાં અકવાડા મદરેસામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરની અકવાડા મદરેસા ટીપી રોડ નીકળતો હોવાથી અહીં ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જેથી મહાનગર પાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદરેસા વિસ્તારમાંથી 1500 ચો.મી દબાણ દૂર કરવામાં આવ્યું છે.

પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
આ કામગીરીમાં ચાર JCB, બે હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર તંત્રનું બુલડોઝર ફેર્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ LCB, SOG સહિત વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.

