Surat: લોકશાહીના શુદ્ધિકરણનો મહાયજ્ઞ; મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં કામરેજ વિધાનસભા SIR અભિયાનમાં રાજ્યભરમાં મોડેલ બની

મંત્રીશ્રી દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા નાગરિકોને ખાસ અપીલ

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 23 Nov 2025 08:57 PM (IST)Updated: Mon 24 Nov 2025 01:32 AM (IST)
mahayagna-for-the-purification-of-democracy-comrade-assembly-under-the-leadership-of-minister-praful-pansheriya-became-a-model-across-the-state-in-the-sir-campaign-643317

Surat: ચૂંટણી પંચ દ્વારા હાલમાં રાજ્યભરમાં SIR (Special Intensive Revision) એટલે કે 'વિશેષ સુધારણા અભિયાન' ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાની કામરેજ વિધાનસભા બેઠક પર રાજ્યના આરોગ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર અને સંગઠનના સુમેળભર્યા સંકલનથી કામરેજ વિધાનસભા આ કામગીરીમાં એક મોડેલ તરીકે ઉભરી આવી છે.

ચોકસાઈ અને પારદર્શિતા પર વિશેષ ભાર લોકશાહીના પાયા સમાન મતદાર યાદી ક્ષતિરહિત હોય તે અત્યંત આવશ્યક છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે કામરેજ વિધાનસભામાં ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી પ્રફુલ પાનશેરીયા સતત આ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ટીમ કામરેજના હોદ્દેદારો, સરકારી તંત્ર, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) અને જાગૃત નાગરિકો એક સાથે મળીને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરી રહ્યા છે.

ગ્રાઉન્ડ લેવલ પર સઘન કામગીરી કામરેજ વિધાનસભામાં SIR અભિયાનની સફળતા પાછળનું મુખ્ય કારણ બૂથ સ્તરની સક્રિયતા છે.

ડોર-ટુ-ડોર અભિયાન: દરેક બૂથ પર BLO દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોની વિગતો ચકાસવામાં આવી રહી છે અને જરૂરી ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવે છે.

જાગૃતિ શિબિરો: ખાસ કરીને નવા યુવા મતદારો અને મહિલા મતદારો આ પ્રક્રિયામાં જોડાય તે માટે વિશેષ માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

નિયમિત મોનિટરિંગ: કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે નિયમિત બેઠકો યોજીને પ્રગતિ અહેવાલ ચકાસવામાં આવે છે.

એક પણ યોગ્ય મતદાર યાદીમાંથી બાકાત ન રહે – પ્રફુલ પાનશેરીયા
આ કામગીરી અંગે વાત કરતા આરોગ્ય મંત્રી અને કામરેજ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે- SIRની આ શુદ્ધિકરણ કામગીરીમાં સહયોગ આપીને આપણે લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપવું જોઈએ. મતદાર યાદીની સુધારણા ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવે છે. અમારી ટીમનો એક જ લક્ષ્યાંક છે કે કામરેજનો એક પણ યોગ્ય નાગરિક મતદાર યાદીમાંથી છૂટી ન જાય.

તેમણે વધુમાં નાગરિકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, "આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. હું કામરેજના સૌ નાગરિકોને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ અગ્રતા આપીને આ કામગીરીમાં જોડાય અને રાષ્ટ્રહિતમાં પોતાની ફરજ બજાવે."

આમ, સતર્ક નાગરિકો અને સક્રિય નેતૃત્વના જોડાણથી કામરેજ વિધાનસભામાં SIR અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને ચૂંટણી પંચના માપદંડો અનુસાર સકારાત્મક પરિણામો આપી રહ્યું છે.