Surendranagar: ધામા ગામમાં બેસતા વર્ષે ફટાકડા ફોડીને ગાયો દોડાવવાની પરંપરા, વિધિ બાદ રજ માથે ચડાવી નવા વર્ષના શુકન લેવાય

ગોવાળોનો સમુહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોટ લગાવે છે. જ્યારે ગ્રામજનો ફટાકડા ફોડીને આ પર્વને મનાે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 22 Oct 2025 05:42 PM (IST)Updated: Wed 22 Oct 2025 05:43 PM (IST)
surendranagar-news-tradition-of-bursting-firecrackers-and-making-cows-run-at-dhama-village-625243
HIGHLIGHTS
  • ગામના લોકો વહેલી સવારે એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભકામના પાઠવે
  • એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા, જે પ્રથા હવે બંધ થઇ ગઇ

Surendranagar: ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 100 વર્ષ જૂની પરંપરા- સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠે આવેલા ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે અને ગ્રામજનો ફટાકડા ફોડીને આ પર્વને મનાવે છે.

વિક્રમ સંવતનું વર્ષ આજે ડિજિટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા આ ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે.

ગાયો દોડાવવીએ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે.ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં ધામા ગામની પ્રથા સૌથી જુની હોવાનું માનવામાં આવે છે.ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે.

આ અંગે ગામના રસિકભાઇ મહેતા,રાજેન્દ્રભાઇ મહેતા, દેવાભાઈ રાઠોડ, કલાભાઈ રાઠોડ, વરસંગભાઈ ડોડીયા, જેવા આગેવાન કહે છે, સવારે 10 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે, જેને ગામેરુ કહેવામાં આવતું જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે.

અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. જે બાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરામાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના-મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.

ગામના વડિલોના જણાવ્યા અનુસાર, એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે.ગાયો દોડાવવાની વિધી પુરી થયા પછી ગાયોની રજ શ્રધ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે.

બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો, મળવાનો સિલસિલો શરુ થાય છે જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.